शुक्रवार, 6 अप्रैल 2012

श्रीरामदूतं शरणं प्रपद्ये



આજનો દિવસ શ્રીરામ ભક્ત હનુમાનજીને નમસ્કાર કરવાનો છે. હનુમાન જયંતી માત્ર કેલેન્ડરોમાં અને ડાયરીના પાનામાં રહી છે ત્યારે ક્યાંક ક્યાંક પ્રભુ શ્રીરામચન્દ્રજીના મંદિરોમાં સુંદરકાંડનું પારાયણ, હનુમાન ચાલીસાના પાઠ,હનુમાનજીનો જન્મોત્સવ વગેરે જોઇને થોડો આનંદ એ વાતનો થાય છે કે હજુ આપણે ભારતીય સંસ્કૃતિને ભૂલ્યા નથી. રામાયણના મહત્વના પાત્રને આજે નમસ્કાર કરવાનો દિવસ છે. માનસશાસ્ત્ર,રાજનીતિ,સાહિત્ય વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન ધરાવનાર હનુમાનજી અગિયારમા વ્યાકરણકાર અને રુદ્રનો અવતાર માનવામાં આવે છે.  
 શ્રીરામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમના દિવસે થયો હતો.જગતના સાત ચિરંજીવીઓમાં હનુમાનજીની ગણતરી થાય છે-
     अश्र्वत्थामा बलिर्व्यासो हनुमांश्र्च विभीषणः ।
     कृपः परशुरामश्र्च सप्तैते चिरजीविनः  ।।
હજારો વર્ષથી જનસમુદાયના હ્રદયમાં રામ જેટલું જ આદરણીય સ્થાન હનુમાનને મળ્યું છે. રામના મંદિરની પૂર્ણતા હનુમાનની મૂર્તિ વગર થતી નથી. શ્રીરામ હનુમાનજીને કહે છે – एकैकस्योपकारस्य प्राणान् दास्यामि ते कपे । અર્થાત્ તારા મારા ઉપર એટલા અગણિત ઉપકારો છે કે તેને માટે મારા એક એક પ્રાણ કાઢીને આપીશ તો પણ ઓછા જ પડશે.
રાવણને જીતનારા વીરમારુતિ અને રામને જીતનારા દાસમારુતિ ને આજના દિને શતશઃ પ્રણામ. –
     मनोजवं मारुततुल्यवेगं, जितेन्द्रियं बुध्धिमतां वरिष्ठम् ।
     वातात्मजं वानरयुथमुख्यं, श्रीरामदूतं शरणं प्रपद्ये ।।
       

कोई टिप्पणी नहीं: