बुधवार, 1 जून 2011

કુળનું મહત્વ



તેજસ્વિતા કુળને આધિન હોય છે.જે સત્કુળમાં જન્મે તે મહાબાહુ,મહાનશક્તિશાળી થાય છે.માણસને શક્તિ જ સત્કુળમાંથી મળે છે.વાલ્મીકિ રામાયણમાં એક પ્રસંગ આવે છે – બપોરના સમયે લક્ષ્મણ અને સીતા પંચવટીમાં એકલા બેઠા હોય છે. રામ ઋષિને મળવા ગયા હતા ત્યાંથી પાછા આવે છે.સીતાનું સૌંદર્ય અલૌકિક હતું. સીતા અને લક્ષ્મણ બંને યુવાન હતાં,ત્યાં કોઇ હતું પણ નહી.બંને એકલાં જ બેઠાં હતાં ત્યારે રામ પ્રશ્ર્ન પૂછે છે :-
पुष्पं दृष्टवा फलं दृष्टवा दृष्टवा स्त्रीणां च यौवनम् ।
त्रीणि रत्नानि दृष्ट्वैव कस्य नो चलते मनः ।।
અર્થાત્ પુષ્પ, ફળ અને યુવાન સ્ત્રીરૂપી ત્રણ રત્નોને જોઇને કોનું મન ચલિત થતું નથી ? ત્યારે લક્ષ્મણ જવાબ આપે છે :
पिता यस्य शुचिर्भूतो माता यस्य पतिव्रता ।
उभाभ्यामेव संभूतो तस्य नो चलते मनः ।।
અર્થાત્ જેના પિતા પવિત્ર જીવનવાળા હોય અને માતા પતિવ્રતા હોય, તેમનાથી ઉત્પન્ન થયેલા પુત્રનું મન ચલિત થતું નથી.
રામે ફરી પૂછ્યું :
अग्निकुण्डसमा नारी घृतकुम्भसमः पुमान् ।
पार्श्र्वे स्थिता सुन्दरी चेत् कस्य नो चलते मनः ।।
અર્થાત્ સુન્દર સ્ત્રી અગ્નિ જેવી છે અને પુરુષ ઘીના કુંભ જેવો છે. સંદર સ્ત્રી પાસે હોવા છતાં કોનું મન ચલિત થતું નથી ?
લક્ષ્મણ બહુ સુંદર જવાબ આપે છે :
मनो धावति सर्वत्र मदोन्मत्त गजेन्द्रवत् ।
ज्ञानांकुशसमा बुध्धिस्तस्य नो चलते मनः ।।
અર્થાત્ ઉન્મત્ત હાથીની માફક મન બધે ઠેકાણે દોડે છે પણ જ્ઞાનના અંકુશરૂપી જેની બુધ્ધિ છે તેનું  મન ચલિત થતું નથી.
લક્ષ્મણનો આ જવાબ સાંભળીને રામ પ્રસન્ન થયા અને કહે છે :
हे लक्ष्मण महाप्रज्ञ सुमित्रायाश्र्च नन्दन ।
इक्ष्वाकोश्र्च कुलोत्पन्न ब्रह्मचारिन्नमो नमः ।।
અર્થાત્ હે લક્ષ્મણ !  તું મહાન બુધ્ધિશાળી છે.તું સત્કુળમાં જન્મ્યો છે,તું સુમિત્રાનો દીકરો છે,એટલું જ નહિ, તું ઇક્ષ્વાકુકુળમાં જન્મ્યો છે.તું ખરો બ્રહ્મચારી છે.તને મારા નમસ્કાર.
આમ,સત્કુળ મળે ત્યારે આવા સંતાનો જન્મે છે.દિવ્ય માતા-પિતા મળે ત્યારે દિવ્ય સંસ્કારો મળે છે.જૂના કાળમાં લગ્ન નક્કી કરતી વખતે પહેલા કુળનો વિચાર કરતા હતા તેનું આ જ કારણ હતું.સુભાષિતકાર પણ કહે છે-बान्धवा कुलमिच्छन्ति । આ કુળને જ ખાનદાની કહેવાય છે.ઉપનિષત્કાળમાં શિષ્ય જ્યારે ગુરુની પાસે વિદ્યાભ્યાસ માટે જતો ત્યારે સૌથી પહેલા ગુરુ તેને કયા કુળમાં જન્મ્યો છે તે પૂછતા. છાન્દોગ્યોપનિષદ્ માં સત્યકામ જાબાલની કથા આવે છે. સત્યકામ જ્યારે ગુરુની પાસે ભણવા જાય છે ત્યારે તેના પિતા તો મૃત્યુ પામ્યા હતા એટલે તે તેની માતાને કહે છે કે હું કયા કુળમાં જન્મ્યો છું,ત્યારે તેની માતા કહે છે કે  મને એ વાતની કશીજ ખબર નથી કે તું કયા કુળનો છે,પણ મારું નામ જબાલા છે અને તારું નામ સત્યકામ છે, આથી ગુરુ તને પૂછે તો એમજ કહી દેજે કે હું સત્યકામજાબાલ છું.આમ જીવનમાં કુળનું ખૂંબ મહત્વ હોય છે.
                                   ***************



कोई टिप्पणी नहीं: