गुरुवार, 28 अगस्त 2014

સામ્પ્રત સમયમાં ગીતાની ઉપયોગિતા

                                                                                                     પ્રોફે.ડ.દિનેશકુમાર આર.માછી
                                                                            સંસ્કૃત વિભાગ,
                               સરકારી વિનયન કોલેજ ધાનપુર,
            જિ.દાહોદ.
                                           E-mail- machhidr@gmail.com

સામ્પ્રત સમયમાં ગીતાની ઉપયોગિતા[*]

           વિશ્ર્વનો મહાન ગ્રંથ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી એવો શ્રીમદ્ભગવદ્ગીતા ગ્રંથ જીવન જીવવાની કળા શિખવે છે. ગીતા ધર્મગ્રંથ છે એમ કહેવા કરતાં તે જીવનગ્રંથ છે એમ કહેવું વધારે ઉચિત છે. વૈદિક સાહિત્યનો સાર ગીતામાં જોવા મળે છે. ગીતા સર્વશાસ્ત્રમયી છે. આથી જ ગીતા માહાત્મ્યમાં કહ્યું છે કે – गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रसंग्रहैः ।
          ગીતા એ તો જ્ઞાનનો હિમાલય છે. ગીતા માત્ર કોઇ સાધુ કે સંન્યાસી માટે નથી ગવાઇ. ગીતાની જેટલી જરુરિયાત  સાધુ કે સંન્યાસીને છે તેના કરતાં પણ વધારે જરુરિયાત સંસારી માટે છે. ગીતા ગાનારો સંસારી હતો અને સાંભળનારો પણ સંસારી હતો. અર્જુન તો માત્ર નિમિત્ત બન્યો છે,ભગવાન પણ તેને કહે છે – निमित्त मात्र भव सव्यसाचिन् । (11/33)
          ગીતા માહાત્મ્યમાં કહ્યું છે તે પ્રમાણે આ જ્ઞાનને તો માત્ર પાંચ-છ  મહાપુરુષો જ જાણી શક્યા છે.- कृष्णो जानाति वै सम्यक् क्वचित्कौन्तेय एव च । व्यासो वा व्यासपुत्रो वा याज्ञवल्क्योथ मैथिलः ।।
      ગીતાનો પ્રથમ શ્ર્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે- धर्मक्षेत्रे कुरुक्षेत्रे...किमकुर्वत संजयः ।। ગીતાની શરુઆત જ ચિંતાથી થાય છે. ધૃતરાષ્ટ્રો હંમેશા ચિંતા કરવાવાળા હોય છે. અહીંયાં બે પક્ષો ઊભા છે, એક ધૃતરાષ્ટ્ર અને બીજો હ્રતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર એટલે धृतं राष्ट्रं येन सः અર્થાત્ જેણે રાષ્ટ્રને પકડી રાખ્યું છે તે. સામેવાળો બીજો પક્ષ હ્રતરાષ્ટ્ર છે, અર્થાત્ જેનું રાષ્ટ્ર ખેંચાઇ ગયું છે તે. કેવળ એક કાળે ધૃતરાષ્ટ્ર થઇ ગયો એવું નથી, પૈસો,વેપાર,ઉદ્યોગ, ધંધો ઇત્યાદિ ભૌતિક સંપત્તિ જ શ્રેષ્ઠ છે એવું માનવાવાળા બધાજ ધૃતરાષ્ટ્રો છે. તેઓ હંમેશાં આંધળા હોય છે.
       ભગવાન શ્રીકૃષ્ણની પ્રેમ મુરલીએ ગોકુળમાં સૌને મુગ્ધ કર્યા તો યોગેશ્ર્વર શ્રીકૃષ્ણની જ્ઞાનમુરલી ગીતાએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને યુધ્ધ માટે પ્રેર્યો.- सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति । वेपथुश्र्च शरीरे मे रोमहर्षश्र्च जायते ।। (1/29) આવું કહેનારો અર્જુન જ્યારે ગીતારૂપી અમૃતનો ભોક્તા બને છે - पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् । ત્યારે આ ભક્ત ભાનમાં આવે છે, અને તૃપ્તિનો ઓડકાર લેતાં કહે છે કે -  नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत । स्थितोस्मि गतसन्देहः करिष्ये वचनं तव ।।(18/73) આ શ્ર્લોકમાં એક ઓડકાર છે. આ શ્ર્લોકમાં ગીતાનો સાર છે.અર્જુન અહીં આપણને સામાન્ય જનનો પ્રતિનિધિ દેખાય છે. આવો મહાન યોધ્ધો કિંકર્તવ્ય સ્થિતિમાં આવી જાય છે, અટકી જાય છે, સ્ખલનશીલ થાય છે, કર્તવ્યચ્યુત થાય છે. આપણે પણ વ્યવહારમાં અટકીએ છીએ, સ્ખલનશીલ થઇએ છીએ, અમુક કરવાનું નક્કી કરીએ છીએ પણ પાછા ફરીએ છીએ. તેથી અર્જુન આપણું પ્રતિનિધિ કરવા યોગ્ય છે. જીવનતત્વોના સંઘર્ષોમાં અને જીવન સિધ્ધાન્તોના સંઘર્ષમાં ચાંચલ્ય આવી જ જાય છે. આ રોજના જીવનનો અભ્યાસ છે; અર્જુનને તેવું ચાંચલ્ય આવી ગયું. જીવન સંઘર્ષમાં આપણું પણ એવું જ થાય છે. અર્જુનને જે વિષાદ થયો તેવો વિષાદ માનવમાત્રને થાય છે. કુરુક્ષેત્રના મેદાનમાં સૌને લડવાનું નથી પણ જીવનનો જંગ તો સૌને માટે છે જ. જીવન એક કુરુક્ષેત્ર છે, તેમાં કેટલાક પ્રશ્ર્નો ઊભા થાય છે તે વખતે માનવ ગીતાનું શરણ લે તો તેની તમામ સમસ્યાઓ દૂર થાય. આમ ગીતા વ્યવહારમાં ખૂંબ ઉપયોગી થાય છે.
ગીતામાં માનસિક સમસ્યાઓનું સમાધાન :
       વિષાદ શબ્દ અર્થસંકુલ છે. વિષાદમાં જુદા જુદા ભાવોની ઉપસ્થિતિ છે. વિષાદ આવે ત્યારે હીનપુરુષત્વ આવે,માણસ પોતાની જાતને હીન સમજવા લાગે. બધું અનિયંત્રિત લાગે,આસુરી વિચાર આવી જાય, ચંચળતા આવી જાય, આળસ આવી જાય, અજ્ઞાનથી ઘેરાઇ જાય,આ બધું મળીને જે રસાયણ થાય તેને વિષાદ કહેવાય છે. ગીતાકાર પણ કહે છે- अज्ञानेनावृतं ज्ञानं तेन मुह्यन्ति जन्तवः । (5/15) અર્થાત્ અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે, તેનાથી પ્રાણીઓ મોહ પામે છે. ઉપર્યુક્ત બધા શબ્દોના વિરોધી યોગો ગીતાકારે કહ્યા છે, જેમકે- આળસની સામે કર્યયોગ, ચંચળતાની સામે ધ્યાનયોગ, અવિદ્યાની સામે રાજવિદ્યારાજગુહ્યયોગ, અભૂતિની સામે વિભૂતિયોગ, હીનપુરુષત્વની સામે પુરુષોત્તમયોગ, આસુરીસંપદ્ ની સામે દૈવાસુરસંપદ્વિભાગયોગ,બંધનની સામે મોક્ષયોગ. આવી રીતે ગીતાકારે એક એક રોગની સામે એક એક દવા આપી છે. વિષાદ આવે એટલે માનસશાસ્ત્રની દૃષ્ટિએ કેટલી વિકૃતિઓ આવે છે તે અહીં જોઇ શકાય છે.
       અર્જુન તે સમયે સૌથી વધારે ડીપ્રેશનમાં આવી ગયો હતો. ડીપ્રેશનનાં તમામ લક્ષણો અર્જુનમાં જોવા મળે છે. જેમકે-
* सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति । वेपथुश्र्च शरीरे मे रोमहर्षश्र्च जायते (1/29)
* न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः । (1/30)
*  विसृज्य सशरं चापं शोकसंविग्नमानसः । (1/47)
       ગીતાકાર શ્રીકૃષ્ણ સૌથી મોટો મનોવૈજ્ઞાનિક છે, આથી જ છેલ્લે અર્જુનને ડીપ્રેશનમાંથી બહાર કાઢે છે. અને તેથી જ અર્જુન અંતમાં કહે છે કે- नष्टो मोहः स्मृतिर्लब्धा त्वत्प्रसादान्मयाच्युत । (18/73)
         21મી સદી એ માનસિક સમસ્યાઓનો યુગ કહેવાય છે. આજના સમયમાં વ્યક્તિના જીવનમાં અધિક જટીલતા,વ્યસ્તતા અને તણાવને લીધે તેમજ ઇન્ટરનેટ, ફેસબુક, ટ્વિટર, વોટ્સપ વગેરેના વધારે પડતા ઉપયોગથી  ચિન્તા,અપરાધ, હતાશા,નિષ્ફળતા,નિરાશા વગેરે મનોવિકૃતિયોનો પ્રકોપ વધતો જાય છે. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે તે પ્રમાણે 2015 સુધીમાં ડીપ્રેસન વિશ્ર્વની સૌથી મોટી માનસિક બિમારી હશે.
       હોલ્મસ અને રાહે (1976) આ બંને મનોવૈજ્ઞાનિકો સંશોધન કરીને એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે 75 % રોગોનું મુખ્ય કારણ માનસિક સ્વાસ્થ્યની ગરબડ છે. મનુષ્યની ભૌતિક ઉન્નતિ જેટલી તીવ્ર છે, તેટલી જ આત્મોન્નતિ મંદ છે. જેના લીધે મનુષ્ય પોતાનામાં વિભિન્ન પ્રકારના સાંવેગિક ભાવોનો અભાવ અનુભવે છે. આવી પરિસ્થિતિમાં મનુષ્યને જરૂર છે ગીતાના વિચારોની, ગીતાના આશ્ર્વાસનોની. ભગવાને જે આશ્ર્વાસનો આપ્યાં છે તેમાંના કેટલાક આ પ્રમાણે છે-
क्लैब्यं मा स्म गमः ( 2/3 )
क्षुद्रं ह्रदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ ( 2/3 )
परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ । (3/11) અર્થાત્ પરસ્પર એકબીજાને ભાવપ્રેમથી
    સંતુષ્ટ કરીને પરમ કલ્યાણને પામો.
* अपि चेदसि पापेभ्यः सर्वेभ्य पापकृत्तमः । सर्वं ज्ञानप्लवेनैव वृजिनं संतरिष्यसि ।। (4/36)
    અર્થાત્ જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરતો હોઇશ, તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે
    સર્વ પાપને તરી જઇશ.
* अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हि सः ।। (9/30)
* उध्धरेदात्मनात्मानं नात्मानमवसादयेत् । (6/5)
* बन्धुरात्माऽऽत्मनस्तस्य येनात्मैवात्मना जितः । अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् ।। (6/6) અર્થાત્     
  જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો બંધુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે    
  પોતાના જ પ્રત્યે શત્રુ થઇને વર્તે છે.
* अनन्याश्र्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते । तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ।। (9/22)
* क्षिप्रं भवति धर्मात्मा शश्र्वच्छान्तिं निगच्छति। कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति।। (9/31)
* स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् । (9/32)
*   तेषामहं समुध्धर्ता मृत्युसंसारसागरात् । (12/7)
*   अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः । (18/66)
         આમ ભગવાને ગીતામાં આવાં અનેક આશ્ર્વાસનો આપીને ભક્તના મનને સુદૃઢ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ચિંતા અને હતાશાથી ઘેરાયેલા વ્યક્તિને આવા આશ્ર્વાસનો પ્રાપ્ત થવાથી તેનામાં કંઇક કરવાની વૃત્તિ નિર્માણ થાય છે. ગીતામાં એક મોટો આશાવાદ દેખાય છે. ગીતા પંડિતોમાં માન્ય થઇ જ્ઞાનને લીધે, ભક્તોમાં માન્ય થઇ ભગવાને કીધી છે તેથી, પણ સામાન્ય લોકોમાં માન્ય થઇ આવા આશ્ર્વાસનોને લીધે. પંડિતોથી લઇને સમાજના અંતિમ સદસ્યને ગીતા આશ્ર્વાસન આપે છે. તેથી ગીતા સાર્વજનિન છે.
ગીતા સ્વાભિમાન જાગૃત કરે છે :
       વ્યક્તિમાં રહેલી અસ્મિતા અને સ્વાભિમાન જાગૃત કરવાનું કામ ગીતા કરે છે.ગીતા સૂતેલાને ઊભો કરે છે, ઊભા થયેલાને ચાલતો કરે છે અને स्वे स्वे कर्मण्यभिरतः संसिद्धिं लभते नरः । (18/45) स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः । ( 18/46 ) આમ કહીને ચાલનારને સ્વકર્મથી સિદ્ધિની પ્રાપ્તિ માટે દોડતો કરે છે. क्षुद्रं ह्रदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप ।  કહીને સ્વાભિમાન જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે.આપણે જેનો શોક ન કરવો જોઇએ તેનો શોક કરીએ છીએ- अशोच्यानन्वशोचस्त्वं...(2/11) જીવ માત્ર અશોચનીય છે. મરચું તીખું છે અને મીઠું ખારુ છે એ તેમના દોષો નથી પણ તેમનો સ્વભાવ છે; તેવીજ રીતે દેહનું જવું એ તેનો દોષ નથી. પણ સ્વભાવ છે. ગીતા  उध्धरेदात्मनात्मानं કહીને મહત્વનો જીવન સિધ્ધાંત સમજાવે છે. માણસે પોતે જ પોતાના ગુરુ બનવાનું છે. આત્માનો દીપક જાતેજ ચેતાવવાનો છે. અર્થાત્ માણસ સુખ-દુઃખમાંથી દૂર જઇને, આંતરમુખ બનીને આત્માનું સ્વરૂપ જાણવાનો પ્રયાસ કરે તો ધ્યેય પ્રાપ્તિ સુધી પહોંચી શકે છે. ભગવાન આપણી અંદર જ રહેલો છે- सर्वस्य चाहं ह्रदि संनिविष्टो..(15/15) ઇશ્ર્વરને શોધવા માટે બહાર ભટકવાની જરુર નથી. હું ક્ષુદ્ર સંસારી જીવ છું એવું કહીને મનની શક્તિને હણવી ન જોઇએ. આત્મસંયમ દ્વારા વ્યક્તિ પોતાની જાતને પરમાત્માને સમર્પિત કરી શકે છે. આમ આત્માથી આત્માનો ઉધ્ધાર શક્ય બને છે. આપણું ભવિષ્ય આપણા હાથમાં જ છે. કાર્યોમાં મળેલી અસફળતા આપણને આત્મહીનતા, ભય,દ્વેશ વગેરે ભાવોથી ગ્રસ્ત કરી દે છે. હું દીનહીન હલકો છું આ પ્રમાણે મનુષ્યના અહં પર નકારાત્મક ચિંતનથી જે આઘાત થાય છે જેને આત્મવિશ્ર્વાસરૂપી ઔષધિ દ્વારા દૂર કરી શકાય છે. અધ્યાય પંદરમાં ममैवांशो जीवलोके जीवभूतः सनातनः । (15/7) કહીને ગીતા આપણો આત્મવિશ્ર્વાસ વધારે છે. આત્મવિશ્ર્વાસનો અર્થ છે કોઇ પણ પરિસ્થિતિમાં આવેલા અવરોધોનો સામનો કરવો.આત્મવિશ્ર્વાસ જીવનનાં હલેસાં છે,જેના સહારે જીવનરૂપી નૌકા કઠિનાઇઓના મધદરિયેથી નીકળવા માટે સક્ષમ બને છે.

ગીતામાં શાન્તિ પ્રાપ્ત કરવાનો ઉપાય :
       સંસારમાં પ્રત્યેક વ્યક્તિ જીવનમાં શાન્તિ ઇચ્છે છે. શાન્તિ વગર સુખની પ્રાપ્તિ થતી નથી. શાન્તિ ભૌતિક પદાર્થોમાંથી નથી મળતી. પ્રસન્નતામાં મનુષ્યનાં સર્વ દુઃખોનો નાશ થાય છે, કારણકે પ્રસન્ન ચિત્તવાળાની બુધ્ધિ ઝડપથી સ્થિર થાય છે- प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुध्धिः पर्यवतिष्ठते ।। ( 2/65 ) અસંયમીની બુધ્ધિ સ્થિર હોતી નથી અને અયુક્તને ભાવના-શ્રધ્ધા હોતી નથી. ભાવના રહિતને શાન્તિ હોતી નથી.શાન્તિ વિનાનાને સુખ ક્યાંથી હોય? –अशान्तस्य कुतः सुखम् । (2/66) આત્મતુષ્ટ અને આત્મતૃપ્ત સ્થિતિમાં મનઃશાન્તિ છે. આજે માણસ અશાન્ત અને અસ્વસ્થ જોવા મળે છે. यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तस्य मानवः । आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ।। ( 3/17 ) અર્થાત્ જે મનુષ્ય આત્મામાં જ પ્રીતિ વાળો, આત્મામાં જ તૃપ્ત તથા આત્મામાં જ સંતુષ્ટ રહે છે તેને કંઇ કરવાનું રહેતું નથી. કારણ કે આત્મજ્ઞાન દ્વારા તે પરમ શાન્તિને પ્રાપ્ત કરે છે- ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति । (4/39) આત્મજ્ઞાનથી જેમ શાન્તિ પ્રાપ્ત થાય છે તેમ કર્મફળના ત્યાગથી પણ શાન્તિ મળે છે- त्यागात् शान्तिरनन्तरम् । (12/12) અને છેલ્લા અધ્યાયમાં પણ ભગવાન કહે છે કે- तमेव शरणं गच्छ सर्वभावेन भारत । तत्प्रसादात्परां शान्तिं स्थानं प्राप्स्यसि शाश्वतम् ।। (18/62) અર્થાત્ હે ભારત ! તું સર્વ ભાવથી તે પરમેશ્ર્વરને જ શરણે જા. તેની કૃપાથી તું પરમ શાન્તિ અને સનાતન સ્થાન-મોક્ષપદ પામીશ.
ગીતામાં વિશ્ર્વની એકસૂત્રતાનું તત્વજ્ઞાન :
       શ્રીકૃષ્ણે ગીતાનું તત્વજ્ઞાન સમજાવીને એક વિશિષ્ટ વૃત્તિ તૈયાર કરી  છે. આત્મા સર્વગત છે- नित्यः सर्वगतः स्थाणुरचलोSयं सनातनः । (2/24) આત્મા અણુપરમાણુમાં રહેલો છે. દેહો અનંત દેખાય છે પણ આત્મા એકજ છે. આમ કહીને શ્રીકૃષ્ણે આખા વિશ્ર્વની એકસૂત્રતા સમજાવી છે. પ્રાણીમાત્ર તરફ દ્વેશ ન રાખતાં મિત્રભાવે વર્તવાનું ગીતા કહે છે- अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । (12/13)
       ગીતાનો વિભૂતિયોગ સમજાય તો જ સૃષ્ટિ સાથે તાદાત્મ્ય આવે. ભોગમાંથી ઇશયોગમાં જવું એટલે વિભૂતિયોગ. સૃષ્ટિમાં રહેલ પ્રત્યેક વસ્તુ તરફ ભોગની નહીં પણ વિભૂતિની દૃષ્ટિએ જોવાનું ગીતા કહે છે. ઉપયુક્તતાવાદી દૃષ્ટિ આવે એટલે માણસનું માનવ્ય ખલાસ થઇ જાય, જીવન યાંત્રિક અને જડવાદી થઇ જાય. આપણી વૈદિક સંસ્કૃતિના દૃષ્ટિકોણમાં નિસર્ગપૂજા જોવા મળે છે, આ નિસર્ગપૂજામાંથી વિભૂતિપૂજા જન્મે છે.ગાય માત્ર ગાય નથી પણ માતા છે, નદી માત્ર નદી નથી પણ માતા છે તેમ લાગવા માંડે છે. આમ સૃષ્ટિ તરફ જોતી વખતે પૂજ્યભાવ નિર્માણ થાય છે.ભોગયોગમાંથી વિભૂતિયોગમાં જવા માટે જીવનમાં ભાવયોગ જોઇએ. ભોગવાદ,વ્યક્તિવાદ,નફાવાદ અને વસ્તુવાદ આ ચાર વાદો તો સ્વાભાવિક છે પરંતુ પાંચમો ભાવવાદ આવે તો માનવજીવન સફળ કહેવાય. આમ ગીતાનો વિભૂતિયોગ ભાવવાદ સમજાવે છે.
ગીતાકારના મતે સુખ એટલે શું ?
         ગીતા સિવાયના શાસ્ત્રોમાં સુખની સ્પષ્ટ વ્યાખ્યા જોવા મળતી નથી. અરે ! નૈયાયિકો પણ સુખની સ્પષ્ટ વ્યાખ્યા કરતા નથી, તેઓ કહે છે કે- प्रीतिः सुखम् । तच्च सर्वात्मनामनुकूलवेदनीयम् । (83) અર્થાત્ પ્રીતિ એ સુખ છે અને તે સર્વ આત્માઓ વડે અનુકૂળ હોય ત્યારે અનુભવાય છે. જ્યારે पीडा दुःखम् तच्च सर्वात्मनां प्रतिकूलवेदनीयम् । (84) અર્થાત્ પીડા એ દુઃખ છે અને તે સર્વ આત્માઓ વડે પ્રતિકૂળ હોય ત્યારે અનુભવાય છે .
       આમ સુખ એટલે શું ? સુખ વસ્તુમાં રહેલું છે કે વ્યક્તિમાં ? આ નક્કી કરવું કઠિન છે. જગતની પ્રત્યેક વસ્તુ સુખરૂપ,દુઃખરૂપ અન મોહક છે. આપણે જેવા હશું તેવી તે વસ્તુ લાગશે. આમ સુખ શામાં છે તે નક્કી કરવું કઠિન છે.
       પરંતુ ગીતા કહે છે- शक्नोतीहैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् । कामक्रोधोद्भवं वेगं युक्तः सुखी नरः ।।  (5/23) અર્થાત્ જે પુરુષ શરીર છોડતાં પહેલાં આ લોકમાં જ કામ અને ક્રોધથી ઉપજેલા આવેશને સહન કરવા સમર્થ છે, તે યોગી છે અને તે જ સુખી છે.  આવા યોગીને જ અંતિમ સુખ પ્રાપ્ત થાય છે- प्रशान्त मनसं ह्येनं योगिनं सुखमुत्तमम् । उपैति शान्तरजसं ब्रह्मभूतमकल्मषम् ।। અર્થાત્ અતિ શાન્ત મનવાળા, શાન્ત રજોગુણવાળા, પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને અંતિમ સુખ પ્રાપ્ત થાય છે.
       ભગવાન અંતિમ સુખની સ્થિતિનું પણ વર્ણન કરે છે- यो अन्तः सुखः अन्तरारामस्तथान्तर्ज्योतिरेव यः । स योगी ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोधिगच्छति ।। (5/24) જ્યારે અંતઃસુખને માટે અંદરની એક એક વસ્તુ એટલે ઇન્દ્રિયો,મન અને બુધ્ધિ અર્પણ કરી નાખી હોય ત્યારે અંદર કેવળ એક અહમ્ નું જ સ્ફુરણ રહે-અંદરની અંતર્જ્યોતિ જ રહે આ સ્થિતિ અલૌકિક, અસામાન્ય અને દૈવી સુખની છે. આવી સ્થિતિવાળો માણસ બીજો માણસ કંઇ જાતિનો છે, કંઇ જ્ઞાતિનો છે કે ક્યા ધર્મનો છે, આવું કંઇ જોતો નથી તે ફક્ત એમાંનું એક ચૈતન્ય જુએ છે.
ગીતાકારના મતે ઉત્તમ વિદ્યાર્થી :
       ઉત્તમ વિદ્યાર્થી કેવો હોવો જોઇએ તેની ગુણવત્તા પણ ગીતા બતાવે છે. ગીતા પ્રમાણે વિદ્યાર્થીમાં સાત લક્ષણો હોવાં જોઇએ -  
   तद्विध्धि प्रणिपातेन परिप्रश्र्नेन सेवया । (4/34)
   इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।
    चाशुश्रूषवे वाच्यं मां यः अभ्यसूयति ।। (18/67)  અર્થાત્ નમ્રતા, પ્રશ્ર્નો પૂછવા-જિજ્ઞાસા,સેવા કરવાની ભાવના, તપસ્વિતા, ભક્તિભાવ, સાંભળવા નહીં ઇચ્છનાર-તત્પરતા અને દ્વેશ નહીં કરનાર આ સાત લક્ષણો જેની પાસે હોય તેને ઉત્તમ વિદ્યાર્થી માનવો. તત્વદર્શી જ્ઞાની પાસેથી જ્ઞાનનો ઉપદેશ પ્રાપ્ત કરવા માટે વિદ્યાર્થી પાસે આ ગુણો હોવા જોઇએ.
      વિદ્યાર્થીએ ચિત્ત એકાગ્ર કેવી રીતે કરવું તે પણ ગીતા બતાવે છે - प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारीव्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः ।।  (6/14)
      અર્જુન પણ ભગવાન પાસે પોતાનું શિષ્યત્વ જાહેર કરે છે- शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् (2/7) અર્જુનના જીવનમાં સમર્પણની આ ધન્ય ઘડી છે.અર્જુનના સમર્પણથી જ કૃષ્ણે અર્જુનની જીવનવ્યાપી જવાબદારી સ્વીકારી હતી. આવા ગુરુ મળવા મુશ્કેલ છે – क्वचित्तु तत्र दृश्यन्ते शिष्यचित्तापहारकाः ।
ગીતામાં દુરાચારી માટે પણ દ્વાર ખુલ્લાં :
       ગીતાના નવમા અધ્યાયમાં ભગવાને ચુસ્ત ધાર્મિક ભાવનાઓને ઉડાડી દીધી છે. ઇશ્ર્વર આરાધના કોઇ પણ માણસ કરી શકે છે. જેમણે ઇશ્ર્વરને માત્ર મંદિરોમાં કે સંપ્રદાયોમાં બાંધી રાખ્યો છે તેનું ગીતા ખંડન કરે છે. ખરેખર ગીતા બિનસાંપ્રદાયિક ગ્રન્થ છે. ગીતાનો સંદેશ કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર દુરાચારી કે ગૂનેગાર માટે પણ ખુલ્લો છે, જેમકે - अपि चेत्सुदुराचारो भजते मामनन्यभाक् । साधुरेव मन्तव्यः सम्यग्व्यवसितो हि ।। (9/30)   मां हि पार्थ व्यपाश्रित्य येSपिस्युः पापयोनयः ।। स्त्रियो वैश्यास्तथा शूद्रास्तेऽपि यान्ति परां गतिम् । (9/32)  ગીતાકાર હિંમતથી કહે છે કે સ્ત્રીઓ,વૈશ્યો તથા શૂદ્રો પણ પરમગતિને પામી શકે છે. ધર્મ,જાતિ,વર્ણ,સ્ત્રી,પુરુષ વગેરેના ભેદો ન રાખતાં સર્વને એક જ સદ્ગતિ આપનાર ગીતાનો આ રાજમાર્ગ છે.
ગીતા શ્રેયનો માર્ગ દેખાડે છે :
       ગીતાના પ્રથમ અધ્યાયમાં અર્જુન કહે છે કે- श्रेयोSनुपश्यामि..(1/31) અર્થાત્ આ યુધ્ધમાં મને કલ્યાણ દેખાતું નથી. અને મને પ્રેયનું આકર્ષણ નથી- काङ्क्षे विजयं कृष्ण राज्यं सुखानि च ।...(1/32) આથી તમે મને જેમાં શ્રેય હોય તે કહો- यच्छ्रेयः स्यान्निश्र्चितं ब्रूहि तन्मे ।(2/7) , तदेकं वद निश्र्चित्य येन श्रेयोSहमाप्नुयाम् ।। (3/2)
       શ્રેય એટલે પારલૌકિક કલ્યાણ અને પ્રેય એટલે સાંસારિક સુખ. ધીરપુરુષો હંમેશાં શ્રેયને પસંદ કરે છે. અહીં કઠોપનિષદ્ ની છાયા જોવા મળે છે.- श्रेयोहि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते । (1/2/2)
 ઉત્કૃષ્ટ સમાજ કલ્યાણની વિભાવના એટલે યજ્ઞ :
       વેદોમાં પ્રચલિત યજ્ઞ શબ્દને ગીતાકારે વ્યાપક સંદર્ભમાં પ્રયોજી ગીતાના મૌલિક તત્વજ્ઞાનનો પરિચય આપ્યો છે. જેમકે -
ž  देवान्भावयतानेन ते देवा भावयन्तु वः । परस्परं भाययन्तः श्रेयः परमवाप्स्यथ ।। (3/11)
ž  ईष्टान्भोगान्हि वो देवा दास्यन्ते यज्ञभाविताः । तैर्दत्तानप्रदायैभ्यो यो भुङक्ते स्तेन एव सः ।। (3/12)
ž  यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः । भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् ।। (3/13)
ž  यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्मसमुद्भवः ।। (3/14)
ž  सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितं ।  (3/15)
ž  एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह यः ।  अघायुरिन्द्रियारामो मोघं पार्थ जीवति ।। (3/16)
ž  यत्करोषि..... मदर्पणम् ।। (9/27)
       આ શ્ર્લોકોમાં ઉત્કૃષ્ટ સમાજ કલ્યાણની વિભાવના જોવા મળે છે.ગીતાકારના મતે યજ્ઞ એટલે ત્યાગ.પોતાને જે કંઇ મળ્યું છે તે દેવોની કૃપાથી મળ્યું છે. મમત્વનો ત્યાગ એ યજ્ઞભાવનાનું હાર્દ છે.માનવ સમાજ પરસ્પરાવલંબી છે.સમષ્ટિમાં જ વ્યક્તિની સ્વતંત્રતાનું અસ્તિત્વ છે. આમ આખો માનવ સમાજ એકબીજા ઉપર આલંબન રાખે છે.
ગીતાનું મહત્વ અંગ્રેજ લોકોને પણ સમજાયું હતું :
       ગીતામાં આવેલા જીવનના સત્ય સિધ્ધાન્તોની ઉપયોગિતા અંગ્રેજ લોકોને પણ સમજાઇ હતી.આપણા દેશના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સ ઉપર ગીતામાં કહેલી વિચારધારાની એટલી અસર પડી કે તેણે ચાર્લ્સ વિલ્કિન્સ નામના પોતાના મદદનીશને પાંચ વર્ષ માટે કાશીમાં ભણવા મોકલ્યો હતો ત્યારબાદ 1785 માં વોરન હેસ્ટિંગ્સે ગીતાનું અંગ્રેજીમાં ભાષાન્તર કર્યુ. (गीतामृतम् , पृ.2)
       આમ પરદેશી લોકો પણ ગીતાનું મહત્વ સમજ્યા હતા. ગીતામાં મનુષ્ય માટેનો ઉચ્ચ આદર્શ નક્કી કરવામાં આવ્યો છે જેની જરૂરીયાત સામ્પ્રત સમયમાં વધારે છે. આ ઉચ્ચ આદર્શ મેળવવા માટેનું સાધન પણ ગીતામાં બતાવ્યું છે. સાતસો શ્ર્લોકોની ગીતાને કામધેનુ અથવા કલ્પવૃક્ષની ઉપમા આપી શકાય. માણસ બુધ્ધિપૂર્વક ગીતા વાંચે અને જીવનમાં ઉતારે તો આ જગતમાં તે કેટલો મહાન માણસ થશે તે તો તેની ઝડપ ઉપર આધાર છે પરંતું એટલું તો ચોક્કસ કહી શકાય કે તેને કોઇ બનાવી તો નહીં શકે. અંતમાં ભગવદ્ગીતાને રાષ્ટ્રીય ધર્મશાસ્ત્રનો દરજ્જો આપવાનું સૂંચન આપતું હાઇકોર્ટના જજનું વિધાન રજૂ કરીને મારી વાત પૂરી કરીશ.
     અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી એસ. એન.શ્રીવાસ્તવે એક ચૂકાદામાં કહ્યું હતું કે જેમ રાષ્ટ્રીય પક્ષી હોય છે તેમ રાષ્ટ્રીય પુસ્તક પણ હોવું જોઇએ. જ્ઞાતિ કે ધર્મથી પર ઊઠીને ભારતના બંધારણની કલમ- 51 હેઠળ ભારતના તમામ નાગરિકોની ફરજ છે કે તેમણે ભગવદ્ગીતામાં ધર્મની જે વ્યાખ્યા છે તેનું  પાલન કરવું જોઇએ. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર તમામ માટે ભગવદ્ગીતા પ્રેરણારૂપ હતી, પુસ્તકમાં જે કંઇ કહેવામાં આવ્યું છે તે તમામ સામાન્ય માનવીને લાગું પડે છે, કોઇ એક ચોક્કસ જ્ઞાતિ કે ધર્મના લોકો પૂરતું સીમિત નથી. (ગુજરાત સમાચાર,તા.12-9-2007)
સંદર્ભ ગ્રન્થસૂચિ :
1.       श्रीमद्भगवद्गीता शांकरभाष्य सहित, गोविन्द भवन-कार्यालय, गीताप्रेस, गोरखपुर, सं.2060 चौबीसवाँ संस्करण
2.       कठोपनिषद् शांकरभाष्य सहित, मोतीलाल जालान, गीताप्रेस, गोरखपुर, सं.2019 ग्यारहवाँ संस्करण
3.       गीतामृतम्,  सद्विचार दर्शन, निर्मल निकेतन, 2, ड.भाजेकर लेन, मुंबई,-400004,ओगणतीसमी आवृत्ति:2005
4.       तर्कभाषा, ડૉ.જિતેન્દ્ર જેટલી,ડૉ.વસંત પરીખ, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ-1, દ્વિતીય આવૃત્તિ:1973
      





[*] શ્રી એન.કે.મહેતા એન્ડ શ્રીમતી એમ.એફ.દાણી આર્ટ્સ કોલેજ, માલવણ અને ગુજરાત સંસ્કૃત સાહિત્ય  
   અકાદમી ગાંઘીનગરના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય રાજ્ય સ્તરીય પરિસંવાદ. 29 જાન્યુ.2014 ,
   સંસ્કૃત વિભાગના સેમિનારમાં દ્વિતીય બેઠકમાં  મુખ્ય વક્તા તરીકેનું વ્યાખ્યાન.
   VIBHANA  VOL.1 , Jan.2014 , Refereed Research  Journal  માં પ્રસિધ્ધ થયેલ લેખ.