रविवार, 1 मई 2011

શાન્તિપાઠ

શાન્તિપાઠ                                  
       આપણા ઋષિમુનિઓ વિશ્ર્વમાં શાન્તિ ઇચ્છતા હતા.પૃથ્વી,જલ,તેજ,વાયુ વગેરે મહાભૂતો શાન્ત થાય તે માટે  ઋષિમુનિઓએ વેદો અને ઉપનિષદોમાં શાન્તિપાઠ રજૂ કરેલા છે.  વેદો અને ઉપનિષદોમાં જે શાન્તિમંત્રો છે તેવા શાન્તિમંત્રો વિશ્ર્વના કોઇ ધર્મમાં કે સાહિત્યમાં નથી.
       અત્યારે ભૂકંપ,સુનામી,વાવાઝોડાં,અતિવૃષ્ટિ,ઠંડી,ગરમી વગેરે જે કુદરતી પ્રકોપો થાય છે તેની આગળ મનુષ્ય નિ:સહાય અને લાચાર છે.આવા કુદરતી પ્રકોપોથી બચવા માટે આપણા ઋષિમુનિઓએ વેદો અને ઉપનિષદોમાં શાન્તિમંત્રો રજૂ કર્યા છે.
            જેમ બહાર ઉત્પાતો થાય છે,તેમ મનુષ્યના મનની અંદર પણ અનેક ઉત્પાતો થતા હોય છે.કોઇ પણ કાર્યની સિધ્ધિ માટે મન શાન્ત,સજાગ અને એકાગ્ર હોવું જોઇએ.મન સત્વ,રજસ્ અને તમસ્ ત્રણ ગુણોનું બનેલું છે. ત્રણ ગુણોમાંથી કોઇ એક ગુણ ગમે તે સમયે બીજા બેની સરખામણીમાં પ્રબળ હોય છે.જયારે તમોગુણ પ્રધાન હોય ત્યારે મન આળસ,નિદ્રા વગેરેની અસરમાં હોય છે.મનમાં સત્વગુણની પ્રધાનતા હોય ત્યારેજ મન શાન્ત અને એકાગ્ર હોય છે.સત્વગુણનો આવિર્ભાવ કરવા માટે શાન્તિમંત્રનો પાઠ કરવાની પ્રથા છે. શાન્તિમંત્ર પ્રાર્થના,સ્તુતિ અથવા તો તત્વસ્વરૂપના કથનના રૂપમાં હોય છે.
       શાન્તિમાં ત્રણ પ્રકારના અવરોધો ઊભા થવાની શક્યતા હોય છે-આધ્યાત્મિક,આધિભૌતિક અને આધિદૈવિક.શારીરિક કે માનસિક પીડામાંથી ઉત્પન્ન થતો અંતરાય  આધ્યાત્મિક  છે.આસપાસના માણસો,પ્રાણીઓ કે જીવજંતુઓથી ઉત્પન્ન થતો અંતરાય આધિભૌતિક છે.કુદરતી કોપ  જેવા કે ઝંઝાવાત,ધરતીકંપ વગેરેથી ઉત્પન્ન થતા અંતરાય આધિદૈવિક કહેવાય છે.શાન્તિમંત્રમાં બધા પરિબળોનું નિયમન કરતા દેવતાઓને અને તે દ્વારા ઇશ્ર્વરને પ્રાર્થના કરવામાં આવે છે કે શ્રોતાનું મન આ બધા અંતરાયોથી મુક્ત રહે છે. ત્રણ અંતરાયોથી મુક્ત રહેવા શાન્તિમંત્રના અંતમાં ઓમ્ શાન્તિ:, શાન્તિ:,શાન્તિ: એમ ત્રણ વખત ઉચ્ચારણ કરવામાં આવે છે.
          અર્વાચીન એવા મુક્તિકોપનિષદમાં 108 ઉપનિષદોના શાન્તિપાઠ આપવામાં આવ્યા છે. આ ઉપનિષદો કોઇને કોઇ વેદ સાથે સંકળાયેલાં છે અને તે વેદને અનુરુપ ઉપનિષદનો શાન્તિપાઠ કરવાં આવ્યો છે. મુક્તિકોપનિષદમાં શ્રીરામ હનુમાનજીને 108 ઉપનિષદોની સંખ્યા ગણાવે છે.હનુમાનજી સંખ્યા જાણ્યા પછી ઉપનિષદોના શાન્તિપાઠ જાણવાની ઇચ્છા કરે છે- अथ हैनं श्रीरामचन्द्रं मारुतिः पप्रच्छ ऋग्वेदादिविभागेन पृथक् शान्तिमनुब्रूहीति। આના પ્રત્યુત્તરમાં શ્રીરામ હનુમાનજીને ઉપનિષદોના પાંચ વિભાગ પાડી જુદા જુદા શાન્તિપાઠ નીચે પ્રમાણે જણાવે છે:-
वाङमे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितमाविशवीर्म एधि । वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीरनेनाधीतेनाहोरात्रान्सन्दधाम्यृतं वदिष्यामि । सत्यं वदिष्यामि तन्मामवतु । तद्वक्तारमवत्ववतु मामवतु वक्तारम् ।। शान्तिः शान्तिः शान्तिः।। અર્થાત્ મારી વાણી મનમાં સ્થિર થાઓ એટલે કે વાણી અને મન એકબીજાને અનુકૂળ થાઓ. સ્વપ્રકાશ પરમાત્મા તમે મારી આગળ પ્રકટ થાઓ.(હે વાણી અને મન)તમે મારી આગણ વેદને લાવો.મેં શ્રવણ કરેલું મારો ત્યાગ ન કરે.મારા આ અધ્યયન દ્વારા હું રાત અને દિનને એક કરી દઉં.(અર્થાત્ મારું અધ્યયન અહર્નિશ ચાલતું રહે) હું સત્ય વાણી બોલું અને મનમાં નિશ્ર્ચય કરેલું સત્ય એવું સત્ય બોલું.તે બ્રહ્મ મારી રક્ષા કરો-વક્તાની રક્ષા કરો. ભગવાન શાન્તિસ્વરૂપ છે, શાન્તિસ્વરૂપ છે, શાન્તિસ્વરૂપ છે.
     આ શાન્તિપાઠ ઋગ્વેદ સાથે સંકળાયેલાં ઉપનિષદોના પ્રારંભમાં જોવા મળે છે.
                   ¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬¬                                                                                               पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
   पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ।।
      शान्तिः शान्तिः शान्तिः।।
અર્થાત્ એ બ્રહ્મ પૂર્ણ છે.આ જગત્ પૂર્ણ છે.એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત્ ઉત્પન્ન થાય છે,એ પૂર્ણ બ્રહ્મમાંથી પૂર્ણ જગત્ કાઢી લઇએ તો પૂર્ણ બ્રહ્મ જ બાકી રહે છે. ¬ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
આ શાન્તિપાઠ શુક્લ યજુર્વેદ સાથે સંકળાયેલાં ઉપનિષદોના પ્રારંભમાં જોવા મળે છે.જ્યાં અપૂર્ણતા છે ત્યાં શાન્તિ સંભવે નહિ માટે આ મંત્રમાં પૂર્ણતાનો વિચાર પૂર્ણ શબ્દની પુનઃપુનઃ આવૃત્તિ દ્વારા મન પર ઠસાવવામાં આવ્યો છે.અંતર્બાહ્ય સર્વમાં પૂર્ણતાનાં દર્શન કરે ત્યારેજ માનવી પૂર્ણ શાન્તિનો અનુભવ કરી શકે છે.
આ શાન્તિમંત્રમાં બ્રહ્મનું સ્વરૂપ તેમજ બ્રહ્મ અને વિશ્ર્વનો સંબંધ વિશિષ્ટ પ્રકારે દર્શાવવામાં આવ્યો છે. બ્રહ્મ કેવળ સર્વવ્યાપક નથી. પરંતુ સર્વને આવરી લીધા પછી પણ દશાંગુલ ઉપર રહે છે. આ વિશ્ર્વ મહાન છે, પરંતુ ઇશ્ર્વર તો તેનાથીય મહાન છે.
આ જગત્ પણ પૂર્ણ છે,કારણ કે તે પૂર્ણ પરમાત્મામાંથી ઉદ્ભવેલું છે. પૂર્ણમાંથી ઉદ્ભવેલું અપૂર્ણ હોઇ શકે નહીં વિશ્ર્વમાં અપૂર્ણતા જોવી એટલે વિશ્ર્વેશ્ર્વરમાં અપૂર્ણતાની કલ્પના કરવી.વિશ્ર્વ એ એક સંપૂર્ણ કલાકારની સંપૂર્ણ કૃતિ છે.
                   ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬

सह नाववतु सह नौ भुनक्तु सह वीर्यं करवावहै । तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै ।। शान्तिः शान्तिः शान्तिः।।
અર્થાત્ હે પરમાત્મા!  આપ અમારા બંનેની(ગુરૂ-શિષ્યની)સર્વ પ્રકારથી રક્ષા કરો.અમારા બંનેનું ઉચિત રીતે પાલન પોષણ કરો. અમે બંને સાથે જ સર્વ રીતે બળ પ્રાપ્ત કરીએ.અમે બંનેએ ભણેલી વિદ્યા તેજસ્વી  થાઓ-કોઇથી ક્યાંય પણ વિદ્યામાં હારીએ નહિ.અમે બંને આખી જિંદગી સ્નેહથી બંધાયેલા રહીએ.અમારામાં આપસ-આપસમાં ક્યારેય દ્વેષ ન થાઓ.ત્રિવિધ તાપની શાન્તિ થાઓ.
     આ શાન્તિપાઠ કૃષ્ણ યજુર્વેદ સાથે સંકળાયેલાં ઉપનિષદોના પ્રારંભમાં જોવા મળે છે.
                    ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬
आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्र्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि । सर्वं ब्रह्मौपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा मा ब्रह्म निराकरोदनिराकरणस्त्वनिराकरणं मेऽस्तु। तदात्मनि निरते य उपिनषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु।।          शान्तिः शान्तिः शान्तिः।।               
અર્થાત્ મારા અંગો બધી રીતે પુષ્ટ થાઓ,વાણી,પ્રાણ,નેત્ર અને શ્રોત્ર પુષ્ટ થાઓ તથા બધીજ ઇન્દ્રીયો બલ પ્રાપ્ત કરે.ઉપનિષદમાં પ્રતિપાદિત બ્રહ્મજ બધુંજ         છે.હું બ્રહ્મનો ત્યાગ ન કરું અને બ્રહ્મ મારો ત્યાગ ન કરે.આ પ્રકારે અમારું નિરન્તર મિલન હો, નિરન્ત મિલન હો .ઉપનિષદોમાં જે શમાદિ ધર્મો કહેવામાં આવ્યા છે તે બ્રહ્મરૂપ આત્મામાં  નિરન્તર રમણકરવાવાળા મારામાં હંમેશા રહો.આધ્યાત્મિક,આધિભૌતિક અને આધિદૈવિક તાપથી શાન્તિ થાઓ
.     આ શાન્તિપાઠ સામવેદ સાથે સંકળાયેલાં ઉપનિષદોના પ્રારંભમાં જોવા મળે છે.
               ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬
भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः । स्वस्ति नः इन्द्रो वृध्धश्रवाः स्वस्ति नः पूषा विश्र्ववेदाः । स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ।। शान्तिः शान्तिः शान्तिः।।                                 
અર્થાત્ હે દેવો ! અમે અમારા કાનો વડે કલ્યાણકારી વચનો સાંભળીએ,હે પૂજનીય દેવો ! અમે અમારી આંખો વડે સુંદર સ્વરૂપ જોઇએ.બળશાળી અંગોથી સંપન્ન શરીરવાળા અમે આપની સ્તુતિ કરતાં કરતાં દેવે નિર્માણ કરેલું દીર્ઘ આયુષ્ય મેળવવા સમર્થ બનીએ.અપાર કીર્તિવાળા ઇન્દ્ર ભગવાન અમારુ કલ્યાણ કરો,જે સર્વ                જાણે છે એવા પૂષા ભગવાન્(પોષણ કરનાર) અમારુ કલ્યાણ કરો.જેનું હથિયાર અતૂટ છે એવા ગરુડ ભગવાન્ અમારું કલ્યાણ કરો.ગુરુ-બૃહસ્પતિ અમારું કલ્યાણ કરો.                                                                                                                          આ શાન્તિપાઠ અથર્વવેદ સાથે સંકળાયેલાં ઉપનિષદોના પ્રારંભમાં જોવા મળે છે.
           ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬ ¬                
યજુર્વેદના છત્રીસમા અધ્યાયમાં કુલ ચોવીસ શાન્તિમંત્રો રજૂ કરવામાં આવ્યા છે,પરંતુ વિસ્તાર ભયથી એ બધા મંત્રો અહી મૂકવા શક્ય નથી,આથી અહી માત્ર ચાર મંત્રો રજૂ કર્યા છે:–
यन्मे छिद्रं चक्षुषो ह्रदयस्य मनसो वातितृण्णं बृहस्पतिर्मे तद्दधातु । शं नो भवतु भुवनस्य यस्पतिः ।। અર્થાત્ હે બૃહસ્પતિ દેવ ! આપ અમારી આંખની ,હ્રદયની તથા મનની કમજોરીઓ દૂર કરો.હે ભુવનોના પાલક ! આપ અમારા બધાનું કલ્યાણ કરો.
शं नो वातः पवतां शं नस्तपतु सूर्यः । शं नः कनिक्रदद्देवः पर्जन्यो अभि वर्षतु ।। અર્થાત્ વાયુદેવતા અને સૂર્યદેવતા અમારા માટે મંગલકારી થાઓ.ગર્જના કરવાવાળા પર્જન્યદેવ અમારા બધાને માટે કલ્યાણકારી વૃષ્ટિ કરો.
धौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः। वनस्पतयः शान्तिर्विश्र्वेदेवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।।  અર્થાત્ સ્વર્ગલોક,અંતરિક્ષલોક તથા પૃથ્વીલોક અમને શાન્તિ પ્રદાન કરો,જળ શાન્તિ પ્રદાયક થાઓ,ઔષધિઓ તથા વનસ્પતિઓ શાન્તિ પ્રદાન કરો.બધા દેવગણ શાન્તિપ્રદાન કરો.સર્વવ્યાપી પરમાત્મા સમગ્ર જગતમાં શાન્તિ સ્થાપિત કરો. શાન્તિ પણ અમને પરમ શાન્તિ પ્રદાન કરો.
तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् । पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्र ब्रवाम शरदः शतमदीनाः स्याम शरदः शतं भूयश्र्च शरदः शतात् ।। અર્થાત્ તે દેવગણો દ્વારા ધારણ કરેલા(જગતના)નેત્રભૂત,દીપ્તિમાન સૂર્યદેવ પૂર્વમાં ઉગે છે.સૂર્યદેવની સહાયતાથી અમે સો વર્ષ સુધી જોઇએ,સો વર્ષનું આયુષ્ય પ્રાપ્ત કરીએ,સો વર્ષ સુધી કાનોથી સાંભળીએ, સો વર્ષ સુધી ઉત્તમ વાણી બોલીએ,સો વર્ષ સુધી દીનતા રહિત રહીએ અને સો વર્ષ સુધી શરદ ઋતુઓને પૂર્ણ કરતાં એનાથી પણ વધારે સમય સુધી આનંદપૂર્વક(જીવિત)રહીએ.

શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ